- 1 ઘણા લોકોએ આપણી વચ્ચે જે ઘટનાઓ બની હતી તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે.
- 2 જેઓએ પોતાની જાતે આરંભથી તે ઘટનાઓ નીહાળી છે અને જેઓ પ્રભુનો સંદેશ તે લોકોને આપતા હતા. તે લોકોએ આપણને જે રીતે કહ્યું હતું તે જ પ્રમાણે તેઓએ તે બાબતો લખી છે.
- 3 નેકનામદાર થિયોફિલ, શરુંઆતથી જ મેં મારી જાતે આનો ચોકસાઇપૂર્વક અભ્યાસ કર્યો અને તેથી મેં તમારા માટે પુસ્તકમાં યોગ્ય ક્રમમાં વૃતાંત લખવા વિચાર્યુ.
- 4 હું આ બધી બાબતો તારા માટે લખું છું જેથી તને ખાતરી થશે કે તને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે સાચું છે.
- 5 યહૂદિયાના રાજા હેરોદના સમયમાં ત્યાં અબિયાના વગૅમાનો ઝખાર્યા નામનો યાજક હતો. તેની પત્નિનું નામ એલિયાબેત હતું. જે હારુંનના પરિવારની હતી.
- 6 ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા.
- 7 પરંતુ ઝખાર્યા અને એલિસાબેત નિ:સંતાન હતા. કારણ કે એલિસાબેત મા બનવા માટે શક્તિમાન ન હતી; અને તેઓ બંન્ને ઘણાં વૃદ્ધ હતા.
- 8 તેના વર્ગના વતી દેવ સમક્ષ યાજક ઝખાર્યા સેવા કરતો હતો. આ વખતે તેના વર્ગને સેવા કરવા માટેનો વારો હતો.
- 9 યાજકોના રિવાજ પ્રમાણે મંદિરમાં પ્રવેશવા માટે અને દેવ સમક્ષ વેદી પર ધૂપ સળગાવવા માટે તેની પસંદગી થઈ. તેથી ઝખાર્યા ધૂપ સળગાવવા માટે પ્રભુના મંદિરમાં દાખલ થયો.
- 10 તે સમયે મંદિર બહાર પ્રાર્થના માટે ઘણા લોકો ભેગા થયા હતા. જ્યારે ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યારે તેઓ પ્રાર્થના કરતા હતા.
- 11 તે વખતે પ્રભુનો એક દૂત ઝખાર્યાની આગળ ધૂપવેદીની જમણી બાજુએ ઊભેલો દેખાયો.
- 12 જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો ત્યારે તે ચોંકી ઊઠ્યો અને ગભરાયો.
- 13 પરંતુ તે દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઇશ નહિ. દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તારી પત્નિ, એલિસાબેત, પુત્રને જન્મ આપશે. જેનું નામ તું યોહાન પાડશે.
- 14 આના કારણે તને પુષ્કળ આનંદ થશે. તેના જન્મના કારણે ઘણા લોકો પણ આનંદ પામશે.
- 15 યોહાન પ્રભુ માટે એક મહાન માણસ થશે. તે કદી દાક્ષારસ પીશે નહિ કે બીજુ કોઈ કેફી પીણું લેશે નહિ. જન્મથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર હશે.
- 16 યોહાન યહૂદિઓને પાછા ફેરવશે પછી તેમના પ્રભુ તેમના દેવ તરફ ફેરવશે.
- 17 યોહાન તેની જાતે પ્રથમ દેવ આગળ ચાલશે. તે એલિયાની જેમ સામથ્યૅવાન બનશે. એલિયા પાસે હતો તેવો આત્મા તેની પાસે હશે. તે પિતા અને બાળકો વચ્ચે શાંતિ લાવશે. ઘણા લોકો પ્રભુની આજ્ઞાઓનું પાલન કરતા નથી. યોહાન તેઓને સાચા વિચારના માર્ગે વાળશે અને પ્રભુના આગમન માટે તૈયાર કરશે.”
- 18 ઝખાર્યાએ દૂતને પૂછયું, “હું એક ઘરડો છું, અને મારી પત્નિ પણ વૃદ્ધ છે. હું કેવી રીતે માની શકું કે તું જે કહે છે તે સાચું છે?”
- 19 દૂતે તેને ઉત્તર આપ્યો, “હું ગાબ્રિયેલ છું. હું દેવની સમક્ષ ઊભો રહું છું. દેવે મને આ શુભ સંદેશો આપવા માટે તારી પાસે મોકલ્યો છે.
- 20 તેથી ધ્યાનથી સાંભળ! જ્યાં સુધી આ બનાવ ના બને ત્યાં સુધી તું મૂંગો રહેશે. તું તારી બોલવાની શક્તિ ગુમાવીશ. શા માટે? કારણ કે મેં તને જે કહ્યું તેમાં તેં વિશ્વાસ કર્યો નથી. પરંતુ આ શબ્દો ચોક્કસ સમયે સાચા ઠરશે.”
- 21 બહાર લોકો હજુ પણ ઝખાર્યાની રાહ જોતા હતા. તેઓ નવાઇ પામ્યા હતા કે શા માટે મંદિરમાં તે આટલા લાંબા સમય સુધી રહ્યો.
- 22 જ્યારે ઝખાર્યા બહાર આવ્યો. તે તેની સાથે બોલી શક્યો નહિ. તેથી લોકોએ વિચાર્યુ કે ઝખાર્યાને મંદિરની અંદર કોઈ દર્શન થયું છે, ઝખાર્યા તે કઈ બોલી શક્યો નહિ, ઝખાર્યા લોકોને ફક્ત ઇશારા કરતો હતો.
- 23 જ્યારે તેનો સેવા કરવાનો સમય પૂરો થયો. ત્યારે ઝખાર્યા ઘેર પાછો ગયો.
- 24 થોડા સમય બાદ ઝખાર્યાની પત્નિ એલિસાબેતને ગર્ભ રહ્યો. પાંચ મહીના સુધી તે ઘરની બહાર નીકળી નહિ. એલિસાબેતે કહ્યું:
- 25 “જુઓ, પ્રભુએ મારા માટે શું કર્યુ છે! અગાઉ લોકો મને મહેણાં મારતા હતા. પણ હવે નિઃસંતાનનું અપમાન દૂર થયું છે.”
- 26 એલિસાબેતની સગર્ભાવસ્થાના છઠા મહિના દરમ્યાન, દેવે એક દૂતને નાસરેથ નામે ગાલીલ શહેરમાં મોકલ્યો. જેનું નામ ગાબ્રિયેલ હતું. તે દૂતને મરિયમ નામની કુંવારી કન્યા પાસે મોકલ્યો હતો. તેની સગાઇ યૂસફ નામના માણસ સાથે થઈ હતી. જે દાઉદના વંશમાથી હતો.
- 27
- 28 દૂત તેની આગળ દેખાયો અને કહ્યું: “અભિનંદન! પ્રભુ તારી સાથે છે અને તનેઆશીર્વાદ આપવા ઈચ્છે છે.”
- 29 પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ. તે નવાઇ પામી હતી. “આ અભિનંદનનો અર્થ શો?”
- 30 દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે.
- 31 ધ્યાનથી કાળજીપૂર્વક સાંભળ! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેનું નામ તું ઈસુ પાડશે.
- 32 તે બાળક એક મોટો માણસ થશે અને લોકો તેને પરાત્પરનો દીકરો કહેશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
- 33 ઈસુ હંમેશા યાકૂબના લોકો પર શાસન કરશે. ઈસુના રાજ્યનો અંત કદી આવશે નહિ.”
- 34 મરિયમે દૂતને પૂછયું, “તે કેવી રીતે બનશે? હું તો હજી એક કુંવારી કન્યા છું!”
- 35 દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે.
- 36 જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે છ માસથી સગર્ભા છે!
- 37 દેવ માટે કશું જ અશક્ય નથી!”
- 38 મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.
- 39 પછી મરિયમ ઉઠીને ઉતાવળથી ઈસ્ત્રાએલના પહાડી પ્રદેશના શહેરમાં પહોંચી ગઇ.
- 40 ઝખાર્યાના ઘરમાં પ્રવેશીને તેણે એલિસાબેતને શુભેચ્છા પાઠવી.
- 41 મરિયમની શુભેચ્છા સાંભળીને એલિસાબેતના પેટમાં બાળક કૂદયું. પછી એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ.
- 42 પછી તેણે મોટા અવાજે કહ્યું, “બીજી સ્ત્રીઓની સરખામણીમાં તું દેવથી વધારે આશીર્વાદિત છે. અને જે બાળક તારી કૂંખમાંથી જન્મ લેશે તેને પણ ધન્ય છે.
- 43 તું મારા પ્રભુની મા છે, અને તું મારી પાસે આવી છે! આવું સારું મારી સાથે કેવી રીતે બન્યું?
- 44 જ્યારે મેં તારો અવાજ સાંભળ્યો, મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું.
- 45 તને ધન્ય છે કારણ કે પ્રભુએ જે તને કહ્યું છે તે ચોક્કસ થશે જ એવું તું દઢ વિશ્વાસથી માને છે.”
- 46 પછી મરિયમે કહ્યું,
- 47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
- 48 દેવે તેની સામાન્ય અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે. હવે પછી, બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
- 49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે. તેનું નામ પવિત્ર છે.
- 50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
- 51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
- 52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે, અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
- 53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે. પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
- 54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે. દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
- 55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”
- 56 લગભગ ત્રણ માસ એલિસાબેત સાથે રહ્યા પછી મરિયમ ઘેર પાછી ફરી.
- 57 યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો.
- 58 તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા.
- 59 જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી.
- 60 પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.”
- 61 લોકોએ એલિસાબેતને કહ્યું, “પણ તમારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી.”
- 62 પછીથી તેઓએ પિતાને ઇશારો કરીને પૂછયું, “તને કયું નામ ગમશે?”
- 63 ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું.
- 64 પછી ઝખાર્યા બોલવા લાગ્યો. તે દેવની સ્તુતિ કરવા લાગ્યો.
- 65 અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો આ બાબતો વિષે વાતો કરતા હતા.
- 66 આ બધા લોકો જ્યારે તેઓએ આ બાબતો વિષે સાંભળ્યું. ત્યારે અચરત પામ્યા હતા. તેઓએ વિચાર્યુ, “આ બાળક કેવો થશે?” તેઓએ આ પ્રમાણે કહ્યું કારણ કે બાળક સાથે પ્રભુનું સામથ્યૅ હતું.
- 67 પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો.
- 68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો. તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
- 69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
- 70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
- 71 દેવ આપણને આપણા દુશ્મનો તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
- 72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે. અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
- 73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
- 74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે. તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
- 75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
- 76 અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે. તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
- 77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
- 78 આપણા દેવની દયા વડે આકાશમાંથી નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
- 79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે. તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
- 80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો.
Luke 01
- Details
- Parent Category: New Testament
- Category: Luke
લૂક પ્રકરણ 1