- 1 યહોવા, દેવોના દેવ બોલ્યા છે, તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
- 2 સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
- 3 આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ, ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે, તેમની આસપાસ મહાતોફાન જાગશે.
- 4 તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે. જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
- 5 જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે, એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
- 6 દેવ પોતે જ ન્યાયાધીશ છે. તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.
- 7 હે મારા લોકો, હું કહું તે સાંભળો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.
- 8 મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે. તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.
- 9 હું તમારા ઢોરવાડામાંથી બળદો નહિ લઉં કે તમારા નેસડામાંથી બકરાં નહિ લઉં.
- 10 કારણકે અરણ્યનાં પ્રત્યેક પશુ અને હજારો ડુંગરો પરનાં પ્રાણી મારાં છે.
- 11 હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું, અને જઁગલનાં સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે.
- 12 જો હું ભૂખ્યો હોઇશ, તોય તમને કહીશ નહિ, કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારુંં જ છે.
- 13 શું હું બળદોનું માંસ ખાંઉ, અથવા બકરાઓનું રકતપાન કરું?”
- 14 તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.
- 15 “મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”
- 16 પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે, “શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો? શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?
- 17 મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.
- 18 જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો, અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
- 19 તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે. અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.
- 20 તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે, તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.
- 21 તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ. તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો, પણ હવે આવ્યો છે સમય, મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો !
- 22 તમે કે જે દેવને ભૂલી ગયા છો, તમારા ટુકડા કરૂં તે પહેલા તમારે આ સમજવાનુ છે કે તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
- 23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે. જે ન્યાયને માગેર્ ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારંુ તારણ બતાવીશ.”
Psalms 050
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
ગીતશાસ્ત્ર પ્રકરણ 50