- 1 યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
- 2 દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
- 3 પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો, અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
- 4 હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
- 5 હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
- 6 ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી, અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
- 7 દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
- 8 પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.
- 9 હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે; અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
- 10 પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે; મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
- 11 મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે; અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.
- 12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
- 13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે; તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
- 14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે, અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
- 15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે. તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
Psalms 092
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
ગીતશાસ્ત્ર પ્રકરણ 92