- 1 એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો કે,
- 2 “અયૂબ, તું ક્યાં સુધી આમ શબ્દોને પકડવા જાળ ફેલાવ્યા કરીશ? સમજદાર થા, પછી અમે તારી સાથે વાત કરીએ.
- 3 તમે અમને શા માટે ઢોર જેવા ગણો છો? અને શા માટે અમને મૂર્ખ માનો છો?
- 4 અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે લોકોએ પૃથ્વી છોડીને જવું? શું તમે વિચારો છો કે માત્ર તમારા સંતોષ માટે દેવ પર્વતોને હલાવશે?
- 5 હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યંુ જશે. તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે.
- 6 તેના પ્રકાશિત ઘરમાઁ અંધારૂ થશે. તેની પાસેનો દીવો હોલવાઇ જશે.
- 7 તેનાં મજબૂત પગલાં નબળાં પડી જશે. તેની અનિષ્ટ ઇચ્છાઓ તેને નીચે પાડશે.
- 8 તે ફાસલામાં ચાલે છે; તેના પગ એમાં ફસાઇ જાય છે.
- 9 ફાસલો તેના પગની પાની પકડી લે છે, એના પાશમાં તે જકડાઇ જાય છે.
- 10 જમીન પર જાળ સંતાઇને પડી હશેે, તેનાં માર્ગમાં એ પાથરેલી હશે.
- 11 એની ચારેકોર ભય તેની પર ત્રાટકવા ટાંપી રહ્યાં છે. દરેક પગલું તેની પાછળ તે ભરે છે.
- 12 ભૂખથી તેનું બળ ક્ષીણ થઇ જશે. વિનાશ તેને નીચો પાડવાં રાહ જોઇને ઊભા હોય છે.
- 13 ભયંકર બિમારીઓ તેની ચામડીને કોરી ખાશે. એના હાથ, પગ કોહવાઇ જશે.
- 14 એ જે ઘરમાં નિરાંતે જીવે છે એમાંથી એને બહાર ખેંચી કાઢવામાં આવે છે અને એને ભયના રાજાની હાજરીમાં લાવવામાં આવશે.
- 15 જેઓ તેનાં નથી તેઓ તેના ઘરમાં વસશે; એના ઘર પર ગંધક છાંટવામાં આવે શે.
- 16 તેની નીચેથી મૂળીયાં સડી જાય છે, તેની ઉપરની ડાળીઓ સુકાઇ જાય છે. તેથી તે મૃત્યુ પામશે.
- 17 આ દુનિયામાં તેનું નામનિશાન રહેશે નહિ. એને કોઇ પણ યાદ કરશે નહિ.
- 18 પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.
- 19 તેને કોઇ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઇ જીવતું નહિ રહે.
- 20 પશ્ચિમના લોકો દિગમૂઢ થઇ જશે જ્યારે તેઓ સાંભળશે કે તે દુષ્ટ માણસને શું થયું. અને પૂર્વના લોકો ભયને કારણે તેમના વાળ ખેચી નાખશે.
- 21 દુષ્ટ લોકોના ઘરને ખરેખર આમ થશે, જેને દેવનું જ્ઞાન નથી તેની આવી જ દશા થશે.”
Job 18
- Details
- Parent Category: Old Testament
- Category: Job
અયૂબ પ્રકરણ 18